શિવરાત્રી અને મહાશિવરાત્રી
ધાર્મિક તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબં છે.ભારતીયો ધાર્મિક તહેવારો આનંદ ઉલ્લાસ સાથે તો ઉજવે છે પણ વ્રત,તપ, આરાધના પણ શ્રદ્ધાથી કરે છે.ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રિ, હોળી કે દિવાળી ભારતીય પ્રજા ઉમંગભેર તહેવારો ઉજવવામાં પાછી નથી પડતાં.ભારતીય પ્રજાની ભરપૂર શ્રદ્ધા તહેવારોના દિવસોમાં વાતાવરણમાં ઉત્સાહ ભરી દે છે.તહેવારો સંજીવની બુટ્ટી સમાન છે.
ભારતમાં વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારો ઉજવાતા હોય છે.મકર સંક્રાંતિ પછી મહાશિવરાત્રીનો તહેવાર ઉલ્લાસભેર ઉજવાય છે
મહાશિવરાત્રીનો તહેવાર શિયાળાની ઋતુની સમાપ્તિ અને ઉનાળાની ઋતુનું આગમન દર્શાવે છે.
શિવ એટલે પ્રકાશ આપનાર, જ્ઞાન આપનાર.શિવજી,ભોલેનાથ, ભોલે શંકર, મહાદેવ, પશુપતિનાથ, વિશ્વનાથ એમ અનેક નામોથી ભગવાન શિવજીની આરાધના થાય છે.
વેદોમાં ભગવાનને નિરાકાર કહ્યા છે ને પુરાણોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ વર્ણન મળે છે.ભગવાન શિવને સંહારક અને નવનિર્માણ કરનાર માનવામાં આવે છે.
ભગવાન શિવજીની ઉપાસના રોજ થાય છે.સોમવાર, સોમવતી અમાસ,શ્રાવણ માસ,માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રીના દિવસે વિધીવત ઉપાસના થાય છે.
માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રી કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તીથીને દિવસે હોય છે.આ તીથી ભગવાન શિવને પ્રિય છે.આ તીથીને દિવસે ચંદ્ર નિર્બળ હોય છે.ભગવાન શિવની આ સમયે આરાધના કરવાથી જન્માક્ષરમાં રહેલ ચંદ્ર બળ મજબૂત થાય છે.ચંદ્ર મનનો કારક છે.અંત: કરણમાં અદમ્ય સાહસ અને દ્રઢતાનો સંચાર થાય છે.
શિવરાત્રીને દિવસે દ્રાપર યુગનો પ્રારંભ થયો હતો.પ્રથમ જ્યોતિર્લિંગ શિવરાત્રીને દિવસે પ્રગટ થયું હતું.
માસિક શિવરાત્રી
દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો દિવસ માસિક શિવરાત્રી તરીકે પુજાય છે.પૌરાણિક કથા અનુસાર મહા માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની મધ્ય રાત્રિએ ભગવાન શિવજી લીંગ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે પ્રથમ પૂજન શ્રી બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ કર્યું હતું.ત્યાર પછી દરેક માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી માસિક શિવરાત્રિ કહેવાય છે.
માસિક શિવરાત્રી ભગવાન શિવજીની પ્રિય રાત્રી છે.ભક્તો સંકલ્પ કરીને માસિક શિવરાત્રિની ઉપાસનાનો આરંભ કરે છે.
દર માસની શિવરાત્રીએ જાગરણ કરે છે.મધ્ય રાત્રીએ નિશિથ કાળમાં ગંગાજળ,ફૂલ બિલીપત્ર,દૂધ, દહીં અર્પણ કરી અર્ચના કરે છે.શિવ સ્તુતિ આરતી કરી શંખનાદ થાય છે.આ વ્રત કરનારા ભકતો પર ભોલેનાથ બહુ જલદી પ્રસન્ન થાય છે.
આ સમયે ભગવાન શિવજી રાત્રીના એક પ્રહર એટલે કે ત્રણ કલાક આરામ કરે છે.આ પ્રહરને શિવરાત્રી કહે છે.આ પ્રહરમાં ભગવાન શિવજી ધ્યાન ધરે છે.આ આધ્યાત્મિક ક્રિયામાં ભગવાન શિવજી તમોગુણનો સ્વીકાર નથી કરતાં એટલે આવા સમયે નકારાત્મક ઉર્જા વધી જાય છે.આ નકારાત્મક ઉર્જા દૂર કરવા બીલીપત્ર, રૂદ્રાક્ષ, ધતુરાના ફૂલથી અર્પણ કરી શિવ આરાધના કરાય છે.
મહાશિવરાત્રી
ભગવાન શિવજીને સમર્પિત મહાશિવરાત્રી મહા માસની ચૌદશને દિવસે ધામધૂમથી ઉજવાય છે.
મહાશિવરાત્રી પર્વ છે.પૌરાણિક કથા અનુસાર દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કરી દીકરી સતી અને જમાઇ મહાદેવને આમંત્રણ આપ્યું નહીં.પોતાના સ્વામીનું અપમાન થતાં સતીએ અગ્નિ ધારણ કર્યો.ત્યાર પછી મહાદેવજીએ સમાધિ ધારણ કરી.સતીએ પાર્વતી રૂપે પર્વત રાજને ત્યાં જન્મ લીધો.તપ કરીને મહાદેવને સ્વામી તરીકે પ્રાપ્ત કર્યા.મહાદેવજી અને પાર્વતીના વિવાહ તરીકે મહાશિવરાત્રી પર્વ ઉજવાય છે.
સમુદ્ર મંથન વખતે વિષ ઉત્પન્ન થયું.સમગ્ર સૃષ્ટિને વિષ મુક્ત કરવા ભગવાન શિવજીએ વિષપાન કર્યું.ગળાનો રંગ નીલ થતાં નીલકંઠ મહાદેવ કહેવાયા.વિષની અસરથી ભગવાન શિવને મુક્ત કરવા દેવતાઓએ નૃત્ય ગાયન વાદન સ્તુતિ કરી ભગવાન શિવ સમક્ષ જાગરણ કર્યું.એટલે શિવરાત્રીનો પર્વની ઉજવણી થાય છે.
બીજી એક કથા અનુસાર એક પારધી શિકાર કરતાં જંગલમાં ભૂલો પડી ગયો.જંગલમા તળાવ પાસે શિવાલય હતું.
શિવલિંગ પાસે બીલીવૃક્ષ હતું.પારધી પશુઓથી બચવા બીલી વૃક્ષ પર ચઢી ગયો.અને બીલીપત્ર શિવલિંગ પર ચઢાવા લાગ્યો અને શિકાર કરવા માટે પશુઓની રાહ જોતો હતો.હરણાઓનુ ટોળું તળાવમાં પાણી પીવા આવ્યું.પારધીએ ધનુષ બાણ ચઢાવ્યા .હરણાઓએ વિનંતી કરી કે અમારા બાળ બચ્ચા અમારી રાહ જોતા હશે.પારધીએ કહ્યું મારા બાળકો ઘરે ભુખ્યા તરસ્યા છે.તમારો શિકાર હું કરીશ જ.હરણાઓએ વિનંતી કરી કે જેવા તારા બાળ બચ્ચા છે એવા અમારા પણ રાહ જોતા હશે.અમારા વગર વલખાં મારશે.અમને મારવા હોય તો અમારા પરિવાર સાથે હમણાં હાજર થશું.અમને જવા દો.પારધીને દયા અને હરણાઓને જવા દીધા.
આમ બીલી વૃક્ષની નીચે શિવાલય હતું.રાત્રી દરમ્યાન પારધીએ હજાર બીલીપત્ર શિવલિંગ પર ચઢાવ્યા.તીથી શિવરાત્રી હતી.રાત્રી દરમિયાન શિવ પૂજા કરી.આખો દિવસ ભુખ્યો હતો.અને હરણાઓ પર દયા ભાવ રાખ્યો.ભોળેનાથ પ્રસન્ન થયાં.પારધીને આશીર્વાદ આપ્યા અને મોક્ષ આપ્યો.ભોળેનાથ સહજતાથી પ્રસન્ન થાય છે.ભોળા થવાથી ભોળેનાથ રીઝે.અભિમાન,છળ કપટ,રાગ, દ્રેષથી ભગવાન શિવ પ્રસન્ન નથી થતાં.પછી લાખો કરોડો બીલીપત્ર અર્પણ કરો કે હજારો લીટર દૂધનો અભિષેક કરો.
મહાશિવરાત્રીના પર્વને દિવસે ભાંગનો પ્રસાદ લેવામાં આવે છે.
અન્ય મંદિરોમાં પંચામૃત, મીઠાઇઓ,ફળ વગેરે પ્રસાદ રૂપે હોય છે.જ્યારે શિવરાત્રીને દિવસે શિવાલયમાં ભાંગનો પ્રસાદ અપાય છે.શિવપંથીઓ મહાશિવરાત્રીને દિવસે મહાદેવજીને પવિત્ર ભાવ વ્યક્ત કરવા પ્રસાદમાં ભાંગ ધરે છે અને પછી પોતે ગ્રહણ કરે છે.આનો અર્થ છે કે જીવનના મદમાથી મુક્ત થવું.
વેદના વર્ણન અનુસાર સમુદ્ર મંથન વખતે અમૃતના ટીપા પૃથ્વી પર પડ્યા અને તેમાંથી છોડ ઊગી નીકળ્યો.આ છોડના પાનનો રસ દેવતાઓએ ગ્રહણ કર્યો.ભગવાન શિવજી આ છોડ માનવજાત માટે હિમાલય લાવ્યા હતા.એ છોડ એટલે ભાંગનો છોડ.ભગવાન શિવ ભાંગનું રસપાન કરી ધ્યાન ધરતા.એક કથા અનુસાર વિષ પાન કરવાથી ભગવાન શિવજીના દેહમાં દાહ થવા લાગી જે શાંત કરવા દેવોએ અને માતા પાર્વતીએ મહાદેવજીને ભાંગ અર્પણ કરી.જો કે ભાંગ એક ઔષધિ છે.ચામડીની બિમારી અને જ્ઞાનતંતુની ઉપાધિમાં દવા તરીકે વપરાય છે.પણ નશાકારક પદાર્થમાં ગણના થવાથી લોકોમાં ભ્રાંતિ થાય છે.
ભગવાન શિવ ચૈતન્ય પરમ આનંદ સ્વરૂપ છે.સ્કંદ પુરાણમાં આકાશને લિંગ અને પૃથ્વીને જળધારી _પીઠ માનવામાં આવે છે.
શિવલિંગ સમગ્ર બ્રહ્માંડ,આકાશ, શૂન્ય અને નિરાકારનું પ્રતીક છે.
શિવ તત્વ અને તેની ઉપાસના પદ્ધતિને જાણ્યા વગર વાસ્તવિક રહસ્યથી વંચિત રહી જવાય છે.ભગવાન શિવ તમોગુણી નથી , પરંતુ આનંદ સ્વરૂપ છે.તમોગુણના વિજેતા છે.બ્રહ્માજી રજોગુણને કાબૂમાં રાખે છે, ભગવાન વિષ્ણુ સત્વગુણને.પણ તમોગુણ વાઘ જેવો છે.જે શિવજી કાબૂમાં રાખે છે.એટલે જ વાઘ ચર્મ ધારણ કરે છે.
શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં વિષ્ણુનો વાસ છે અને ઉપરના ભાગમાં શિવજીનો વાસ છે.વેદી આદ્યશક્તિ પાર્વતીનું સ્વરૂપ છે.શિવરાત્રીને દિવસે ત્રિદેવ અને શક્તિની આરાધના થાય છે.
સત્કર્મથી એક બિલ્વ શિવાર્પણ.
Comments
Post a Comment